બુધવાર, 13 માર્ચ, 2024

ભારત માતા અને અન્ય માતાઓ - દેવદત્ત પટ્ટનાઈક

 

જો ભારત પાસે તેની  ભારત માતા છે તો બ્રિટન પાસે બ્રિટાનિયા, ફ્રાંસ પાસે મેરિઆન, ન્યુઝીલેન્ડ પાસે ઝીલેન્ડિયા, સ્વીડન પાસે મા સ્વિયા  અને અમેરિકા પાસે કોલંબિયા એમ માતાઓ છે. આ બધી માતૃભૂમિની દેવીઓ છે જેઓ સાંસ્થાનિક સમયમાં ઉભરી આવી હતી અને રાષ્ટ્ર-રાજ્યના ઉદય સાથે પોતાને 'માતાઓ' તરીકે એકીકૃત કરી હતી.

૧૮મી સદીમાં 'યુનાઈટેડ કિંગ્ડમ' બનાવવા માટે જ્યારે સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડના રાજ્યોનું એકીકરણ કરાયું ત્યારે બ્રિટાનિયાનો ઉદ્ભવ થયો. ગ્રીક પ્રભાવનાં સૂચક તર્કસંગતતાનાં પ્રતીક સ્વરૂપ, ગ્રીક હેલ્મેટ અને ઢાલ સાથે તેમની કલ્પના  કરવામાં આવી હતી. તેમણે સિંહ પર સવારી કરી જે તેમના શાહી સ્વભાવને દર્શાવે છે. શાહી શબ્દ આજે છે તેવો ત્યારે ખરાબ ન હતો, . પાછળથી, તેમને, સમુદ્ર પરનો અંકુશ સ્થાપિત કરનાર  અને જ્યાં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એવાં સામ્રાજ્યનું સર્જન કરનાર, બ્રિટીશ નૌકાદળની શક્તિ દર્શાવતાં સમુદ્ર-દેવ પોસેઇડનનું ત્રિશૂળ પકડીને બતાવવામાં આવ્યાં હતાં.  આ છબી એલિઝાબેથ પ્રથમ અને અલબત્ત, રાણી વિક્ટોરિયા પણ, જેવાં ઈંગ્લેન્ડનાં મહાન રાણીઓની યાદ અપાવે છે.

બ્રિટાનિયાનું અનુકરણ કરીને, ન્યુઝિલેન્ડ પોતાને ઝીલેન્ડિયામાં મૂર્તિમંત કરે છે. જો કે ઝીલેન્ડીયાની પાછળ લોકો ગાંડાતૂર નહોતા થયા. અને, સ્વીડનમાં, સ્વીડિશ લોકોની દેશભક્તિની ભાવનાનાં મૂર્ત સ્વરૂપ, દેવતાઓ અને ઉમદા યોદ્ધાઓનાં કવચ સમી કન્યા, વાઇકિંગ વાલ્કીરીઝની છબીથી પ્રેરિત, મધર સ્વિયાનો ઉદ્ભવ થયો.

સાંદર્ભિક તસવીરો: નેટ પરથી 
કેથલીન ની હૌલિહાન, અથવા હાઉસ ઓફ હોલિહાનની કેથલીન, આઇરિશ રાષ્ટ્રવાદીઓને પ્રેરણા આપે છે. તેઓએ તેમને એક એવી વૃદ્ધ મહિલા તરીકે વર્ણવ્યાં જેમણે પોતાનું ઘર ગુમાવ્યું હતું, જ્યારે તેમણે યુવાનોને લડવા માટે પ્રેરિત કર્યા હતા ત્યારે તે યુવાન થઈ ગયાં હતાં, અને તેના માટે, કુળવાન ઉમરાવો જેવા ભદ્ર લોકો મૃત્યુને  પણ વર્યા હતા. પાછળથી, જ્યારે ઘણા આઇરિશ લોકો અમેરિકા સ્થળાંતર થયા તે પછી જ્યારે જ્યારે વતનની યાદ આવતી હતી ત્યારે દેવી કેથલીને આયર્લેન્ડને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. 

ફ્રાન્સમાં, મેરિઆને પ્રજાસત્તાક અને તર્કના આદર્શોને મૂર્તિમંત કરે છે. પુરૂષ વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલ રાજાશાહીનો સામનો કરવા માટે એક મહિલાની પસંદગી કરવામાં આવી હતી. તેમની કલ્પના દેવીએ, સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરતી, નરમ અને આગળથી થોડી ઝૂકેલી, શંકુ આકારની  ફ્રીજીયન ટોપી પહેરેલી દેવી તરીકે કરવામાં આવી હતી.  આ એ ટોપી એ છે જે રોમન સમયનાં ,રોમમાં સ્વતંત્ર લોકો પહેરતા હતા અને  ગુલામોને જ્યારે તેમના માલિકો મુક્ત કરતા ત્યારે સ્વતંત્ર થયાની નિશાનીરૂપે ગુલામોને આપવામાં આવતી હતી.

૧૮મી સદીમાં, બ્રિટિશ સંસદમાં ચાલતી ચર્ચાઓ જાહેર કરવી ગેરકાયદેસર હતી. અને તેથી રાજકીય સામયિકોએ લોકો અને સ્થાનોના કાલ્પનિક નામોનો ઉપયોગ કરીને એ ચર્ચાઓ પ્રકાશિત કરી. આ અહેવાલોમાં, અમેરિકામાં કોલોનીઓ કોલંબિયા તરીકે ઓળખાય છે. પાછળથી, ફ્રીજિયન કેપ સાથે અને અમેરિકન ધ્વજમાં લપેટાયેલી, કોલંબીયા પ્રજાસત્તાકનું પ્રતીક બની ગઈ, જેણે પોતાને પ્રતિક ગણી પ્રજાસત્તાક માટે લડવા યુવાનોને આમંત્રણ આપ્યું.

માતૃભૂમિ દેવીઓનો વિચાર કદાચ રોમાંની વિભાવનાથી ઉદ્દભવ્યો હતો, જે રોમન સામ્રાજ્યનું મૂર્ત સ્વરૂપ હતું, જેમને રોમનો લૌરેલની માળા પહેરેલ માતા, ખ્રિસ્તી શહીદો દ્વારા ગ**કા તરીકે  અને પવિત્ર રોમન સામ્રાજ્યમાં સંત તરીકે જોવામાં આવતાં  હતાં.

ભારત માતાનો વિચાર ૧૯મી સદીના કિરણ ચંદ્ર બેનર્જીના નાટક, બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા જેમાં તેમણે વંદે માતરમ (માતાને વંદન) અભિવાદન પ્રયોજ્યું હતું,  બિપિન ચંદ્ર પાલના નિબંધો અને જેમાં ભારત માતાને કેસરી પહેરેલાં અને ચાર હાથમાં મણકા (વિશ્વાસ), વેદ (જ્ઞાન), ચોખાના સાંઠા (અન્ન) અને તેના બાળકો માટે પહેરણ (કપડાં) સાથે દર્શાવવામાં આવ્યા છે એવાં અબનીન્દ્રનાથ ટાગોરનાં કલાચિત્રની રચનામાંથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઉદ્ભવ્યો હતો. પાછળથી, ભારત માતાને સિંહ (અથવા સિંહો) દ્વારા ખેંચાઈ રહેલા રથ પર બેઠેલાં, હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે, બ્રિટિશ-રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું એવાં સીતા તરીકે, કે પછી તેમને  અંગ્રેજો-કિચક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવેલો એ દ્રૌપદી તરીકે, કે બ્રિટાનિયાના લોભને કારણે નિર્વસ્ત્ર અને નગ્ન બનેલાં  કાલી, કે 'રાષ્ટ્રવિરોધી દૂષણ' સામેના યુદ્ધમાં 'કુલીન દેશભક્ત બાળકો'નું નેતૃત્વ કરવા તૈયાર દુર્ગા તરીકે પણ દર્શાવાયાં છે.

આમ રાષ્ટ્રવાદી પૌરાણિક કથાઓ, પોતાની માને પ્રભાવિત કરવા માંગતા છોકરાઓ દ્વારા, છોકરાઓ માટે, બનાવવામાં આવી છે.

  • મિડ - ડેમાં ૨૦ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Bharat Mata and other Matas નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૩ માર્ચ ૨૦૨૪

શુક્રવાર, 8 માર્ચ, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - સહ-નેતૃત્ત્વનું ટીમમાં સિંચન

 તન્મય વોરા

થોડા વર્ષો પહેલા, સંપૂર્ણપણે નવી તકનીકમાં પ્રોજેક્ટનો અમલ કરવાની જેમના પર જવાબદારી હતી એવી ટીમને હું એ કામમાં મદદ કરતો હતો. આ નવી જવાબદારીનો અર્થ એ પણ હતો કે ટીમના દરેક સભ્યએ પહેલ કરવી પડશે અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં શોધખોળ કરવા મંડી પડવું પડશે.

પ્રોજેક્ટ માટે એક નિયુક્ત પ્રોજેક્ટ મુખી તો હતો જ. તેમ છતાં, અમે ટીમના એવા ઘણા સભ્યો જોયા કે જેમણે "સહનેતૃત્ત્વ" દર્શાવ્યું. સરળ શબ્દોમાં કહીએ તો, સહનેતૃત્વ ત્યારે થાય છે જ્યારે લોકો પોતપોતાનાં પદને ભુલીને આગળ આવે છે અને પોતાનાં નેતૃત્વ કૌશલ્યને દર્શાવે છે. સહનેતૃત્વ એક એવા પ્રકારનું નેતૃત્વ છે જે સમકક્ષો વચ્ચે અસ્તિત્વ ધરાવે છે.

અમારી ટીમમાં એક એવો સભ્ય હતો જે આગળનું વિચારતો હતો, સમસ્યાઓની આગોતરા જ અપેક્ષા કરી લેતો હતો અને એ આવી સંભવિત સમસ્યાઓ માટે ટીમને આગોતરા જાણ પણ કરી દેતો હતો.  આ ઉપરાંત, ટીમ દ્વારા ચૂકાઈ ગયેલા પ્રોજેક્ટ્સના કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેણે ધ્યાન પણ દોર્યું હતું. તે સ્પષ્ટપણે સહઅગ્રણી હતો, કારણ કે ટીમના અન્ય સભ્યોએ તેને એવી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું કે જેણે પ્રોજેક્ટ (અથવા પ્રોજેક્ટના કેટલાક ક્ષેત્રો) માં આગવી દૃષ્ટિ ધરાવી હતી.

આ અને કેટલાક અન્ય અનુભવોના આધારે, સહનેતૃત્વના મેં શીખેલા કેટલાક મહત્વપૂર્ણ પાઠ અહીં આપ્યા છે:

·       સહનેતૃત્વ વ્યક્તિ દ્વારા કામને શ્રેષ્ઠ રીતે કરવાની પસંદગીમાંથી ઉદ્ભવે છે. તે વ્યક્તિની વિષય વિશેની જાણકારીનું પરિણામ પણ છે.

·        સહનેતૃત્વ પરંપરાગત પદાનુક્રમ આધારિત માળખાંની પાર જઈ ટીમમાં દરેકને એકસાથે નેતૃત્વ લેવાની, તેમજ વધારે જાણકાર અન્ય સભ્યોને અનુસરવાની, સમાન તક આપે છે.

·       સંસ્થાઓ/અગ્રણીઓએ સહનેતૃત્વનેને પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી લોકોને તેમની ઔપચારીક રીતે સોંપાયેલ જવાબદારીઓથી આગળ વિચારવા માટે, અને પ્રક્રિયામાં મૂલ્યવૃદ્ધિ કરવા માટે, પ્રોત્સાહિત કરવા જોઈએ.

·       નીચેથી ઉપર તરફ પ્રસરતું નવપરિવર્તન સામાન્ય રીતે સંસ્થામાં તમામ સ્તરે લોકોના વ્યક્તિગત નેતૃત્વનું પરિણામ છે.

·       સહનેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એવી સશક્તિકરણની સંસ્કૃતિનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે જ્યાં લોકો પ્રોજેક્ટ/સંસ્થાના વ્યાપક દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈને વિચારે અને વર્તે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવા માટે સક્ષમ હોય છે.

સહનેતૃત્વ ટીમના સંદર્ભમાં થાય છે, અને વ્યક્તિગત સ્તરે વ્યક્તિગત નેતૃત્વ સાથે તેનો ખૂબ નજીકથી સંબંધ છે.

છેલ્લે આ બે મહત્ત્વના પ્રશ્નોનો જવાબ વિશે વિચારીએ:

·       જો તમે સંચાલક/અગ્રણી છો, તો જે ટીમમાં દરેક સભ્ય પ્રોજેક્ટના એક એક ભાગનું નેતૃત્વ કરે છે એ ટીમના સભ્યોમાં સહનેતૃત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય ?

·       એક પ્રોફેશનલ તરીકેતમારા કામને અલગ તરી આવે તે રીતે અને બીજાંને દાખલો બેસે તેવી રીતે શી રીતે સતત ઉપરની કક્ષાએ લઈ જતાં રહી શકાય?

સ્ત્રોત સંદર્ભ::Fostering Peer Leadership In a Team

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ

બુધવાર, 6 માર્ચ, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૫ પસંદગીના વિકલ્પ જેમ વધુ મળે તેમ તેમ સંતોષ ઘટે, એટલે કે, 'પસંદગીઓનો વિરોધાભાસ'

સંશોધનો પરથી એવું તારણ નીકળે છે કે પસંદગીઓ માટે ઘણા વધારે વિકલ્પ મળ્યા હોય તો પછી જે વિકલ્પ પર પસંદગી ઉતારી હોય તેનાથી સંતોષ ઓછો જ થાય. સિદ્ધાંત એ છે કે પસંદગીના વધારે વિકલ્પોને કારણે કોઈ પણ વિકલ્પ પસંદ કરવાની તકનું ખર્ચ વધતું (greater opportunity costs) જાય છે; પરિણામે જે વિકલ્પ પર પસંદગી ઉતારીએ તે ઓછો સંતોષ આપે છે. [1] જે લોકો અસાધારણ કામો કરીને સફળતા મેળવે છે તેમની સફળતાને આપણે પુજીએ છીએ. પરંતુ એ સફળતા મેળવવાની તકને સિદ્ધ કરવા માટે એ વ્યક્તિએ જે કિંમત ચુકવી હોય છે તે આપણને ખબર નથી હોતી. એટલે કે કંઈ પણ મેળવવાની પાછળ એવી કિંમત છુપાયેલી રહેતી હોય છે (some sort of inherent sacrifice) જેનો ખ્યાલ તે સમયે આવે કે ન પણ આવે. [2] 

ઇ.સ. ૨૦૦૦માં કોલંબીઆ યુનિવર્સિટીનાં શીના આયંગરે પસંદગીના વિકલ્પ અને નિર્ણય પ્રક્રિયાના અભ્યાસ માટે 'મુરબ્બા પ્રયોગો' કર્યા. એ પ્રયોગો દરમ્યાન પ્રોફેસર આયંગર અને તેમના સાથીઓએ એક બહુ વ્યસ્ત સુપરમાર્કેટમાં ૨૪ પ્રકારના મુરબ્બા ગોઠવીને તેમાંથી જેટલા ચાખવા હોય તે વિના કિંમતે ચાખવાની યોજના મુકી. આટલા બધા વિકલ્પને કારણે ૬૦% લોકોએ ઊભા રહીને મુરબ્બા ચાખ્યા ખરા પણ ખરીદી માત્ર ૩% લોકોએ જ કરી. પછી માત્ર છ પ્રકારના મુરબ્બાઓ રાખ્યા. હવે જોવા ને ચાખવા ૪૦% લોકો જ રોકાયાં, પણ ૩૦% લોકોએ ખરીદી કરી.


ખરી સમસ્યા જ એ છે કે આજે પસંદગી કરવાની તકની સંખ્યા બહુ વધી ગઈ છે. પરિણામે, એટલા બધા વિકલ્પોમાંથી, કોઇ પણ જાતનો રંજ કે અફસોસ/regret[3] ન રહી જાય એ મુજબની પસંદગી કરવા માટે જે સમય અને શક્તિ ખર્ચવાં પડે છે તેનું ખર્ચ જ એટલું વધી જાય છે કે સરવાળે જે કંઈ પસંદ કરી તેની પાછળ જે ખર્ચ કરવું પડ્યું તેનો વસવસો થયા કરે.  


એટલે થાય “FOMO” - 'રહી ગયાનો ભય' / “Fear of Missing Out.” શું શું કરવાનું રહી ગયું એ યાદ કરવાના કરાઓના વરસાદથી સતત ઘેરાયેલાં પડ્યાં રહીએ છીએ. 

જે લોકો 'જીવનના ધ્યેય સવાલ' / “life purpose” question" નો જવાબો શોધવા ભટકતાં જ રહે છેતેમની હંમેશા એક જ ફરિયાદ હોય છે કે શું કરવું એ જ સમજાતું નથી. પરંતુ મુળ સમસ્યા એ નથી કે શું કરવું એ જ તેમને સમજાતું નથી. સમસ્યા એ છે કે જેની જરૂર નથી એને પડતું મુકવું છે એ ખબર છે પણ શું નથી જોઈતું, કે શું ન જોવું જોઈએ, તેની જ ખબર નથી હોતી / they don’t know what to give up.


સમજપૂર્વક પસંદગી કરવાની કળા અને વિજ્ઞાન / The Art and Science of Choosing Wiselyમાં શીના એસ. આયંગર નવું શોધતાં રહેવાની અને નિર્ણય - પ્રક્રિયાની પાછળની માનસીકતા વિષે શોધખોળની ચર્ચા કરે છે.તેમનાં કામ દ્વારા નિર્ણયો લેવામાં લેવામાં થતી સાવ સામાન્ય ભુલોની પાછળની ઝીણી સમજ મળવાની સાથે પસંદગી કરવામાંથી વધારે ફાયદા કેમ મળે  તેના માટે પ્રયોગશાળાઓમાં સિદ્ધ થયેલા ઉપાયો પણ જાણવા મળે છે. 


એક જ કાર્ટુન આ વિષય પર ઘણું બધું કહી જાય છે:



વધારાનું વાંચન :

  • The paradox of choice | Barry Schwartz | TED: માનસશાસ્ત્રી બેરી સ્ક્વાર્ત્ઝ પાશ્ચાત્ય સમાજની પસંદગીના વિકલ્પોની કેન્દ્રવર્તી માન્યતા પર નિશાન સાધે છે. તેમના અંદાજ મુજબ, વિપુલ પ્રમાણમાં પસંદગીઓએ આપણે વધારે મુક્ત નથી કર્યાં પણ વધારે અસહાય કરી મુક્યાં છે, વધારે ખુશ નહીં પણ વધારે અસંતુષ્ટ બનાવી દીધેલ છે.



  • જ વિષય પર બેરી શ્ક્વાર્ત્ઝ વધારે વિગતે @ Claremont McKenna College

  • Sheena Iyengar: Fate, chance, or choice: છેલ્લાં વીસ વર્ષથી શીના આયંગર પસંદગી વિષયનો ગહન અભ્યાસ કરી રહેલાં છે.  INK2011માં તેઓ બતાવે છે કે આપણી જાતને, આપણાં જીવનને અને આપણાં ભવિષ્યને ઘડવા માટે પસંદગી એ શી રીતે એક શક્તિશાળી સાધન છે.
  • Sheena Iyengar: How to make choosing easier : આપણને દરેકને પોતપોતાને અનુકૂળ આવે તેવી ચીજવસ્તુઓ અને અનુભવો જોઈતા હોય છે - પણ પસંદગીના ૭૦૦થી વધારે વિકલ્પો સામે આવે ત્યારે આપણે થીજી જઈએ છીએ. નવાં, અદ્ભૂત સંશોધન વડે શીના આયંગર સમજાવે છે કે વ્યાપારઉદ્યોગો (અને બીજાંઓ પણ) કેમ પસંદગી અંગેના અનુભવને વધારે સારો બનાવી શકે છે.



[1] What is the Paradox of Choice? 


[3] We're surrounded by choices in life, but psychologists have found that having those choices doesn't necessarily make us happy.




બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

એકલી અટૂલી પડી ગયેલી યમુના - દેવદત્ત પટ્ટનાઈક

પરંપરાગત રીતે, સમગ્ર ભારતમાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ, ગંગા અને યમુના, એમ બે ચિત્રો કે મૂર્તિઓ હોય છે. દેવી-સ્વરૂપ બે નદીઓ જે માનવ વિશ્વને દૈવી વિશ્વ સાથે જોડતાં પવિત્ર મંદિરોને 'તીર્થ' અથવા નદી પાર કરવાના ઉતારમાં પરિવર્તિત કરે છે.

બે દેવીઓને સ્વૈચ્છિકરૂપે ઘડાને ઉપાડી લેતી, લગભગ જોડિયા, કન્યાઓ તરીકે જોવામાં આવે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ જે પ્રાણીઓ પર સવારી કરે છે, તે વાહનો અલગ છે. ગંગાને તાજા પાણીની,પ્રસિદ્ધ, ગંગાડોલ્ફિન (મકર) પર સવારી કરતી તો યમુનાને કાચબા (કૂર્મ) પર સવારી કરતી જોવા મળે છે. આ તસવીરો તેમના વ્યક્તિત્વના તફાવત દર્શાવે છે.

ડોલ્ફિનની જેમ, ગંગાને ઉછળકુદ કરતી, ઝડપી અને ખુશખુશાલ માનવામાં છે તો યમુનાને કાચબાની જેમ શરમાળ, સુસ્ત અને નિરાશ કલ્પવામાં આવે છે. ગંગાને શિવની પત્ની માનવામાં આવે છે. તેને શિવના તેના માથા પર બેઠેલી અને શિવ સ્થિર મુદ્રામાં બેઠા હોય ત્યારે તેમના વાળથી સંયમિત રહેલી કલ્પવામાં આવે છે. જ્યારે યમુનાને વિષ્ણુની પત્ની માનવામાં આવે છે. વિશ્વને બચાવવા માટે ભટકતા રહેતા વિષ્ણુ સાથે રહેવા માટે સખત પ્રયાસ કરતી રહેતી યમુના વિષ્ણુની પાછળ પાછળ આવે છે,. આમ, ચંચળ ગંગા ધીરગંગીર શિવની પૂરક છે અને શાંત યમુના ચંચળ વિષ્ણુની પૂરક છે. હિંદુ પૌરાણિક કથાઓમાં પૂરક પ્રભાવો એ મુખ્ય વિષય છે.

યમુનાને લગતી સર્વાંગી મનોસ્થિતિ કરૂણ છે. વેદોમાં, તે જીવનની આશાની ધારક, યામી છે. તે યમુનાના પ્રસ્તાવને સ્વીકારવાને બદલે મૃત્યુ પામવાનું પસંદ કરવાને કારણે એવા મૃત્યુના દેવ બની જાય છે, જે પાછા કદી જીવંત બનવા સક્ષમ નથી રહેતા, યમની તે બહેન છે. તે ક્યારેય સૂર્યનો આનંદ માણી શકતી નથી એવી રાત્રિ, યામિની, છે. પુરાણોમાં, તેને ફીણાચ્છાદિત, ધવલ ગંગાથી સાવ વિરુદ્ધ, કાલિંદી શ્યામ નદી બતાવવામાં આવી. બન્ને પર્વત દેવ, હિમાવન,ની પુત્રીઓ છે. યમુના કૃષ્ણને દૂરથી રાસ-લીલા નૃત્ય કરતા જોયા કરે છે, તેમની પૂજા કરતી રહે છે, તેમની આરાધના કરતી રહે છે, અને જ્યારે તેઓ ગોવાળોનું ગામ છોડે છે ત્યારે દ્વારકા સુદ્ધાં સુધી તેમને અનુસરતી પણ રહે છે.

તે પછી, યમુનાને આજ્ઞાપાલક બનતી વર્ણવતી એક હિંસક વાર્તા પણ છે. કૃષ્ણના ભાઈ બલરામ, જેઓ કૃષ્ણ દ્વારકા ગયા પછી વ્રજ તરીકે ઓળખાતા વિસ્તારની મુલાકાતે ગયા હતા, તેમને નદીમાં સ્નાન કરવાનું મન થયું. પરંતુ તે ખૂબ નશામાં હતા અને નદી સુધી ચાલવા માટે ખૂબ થાકી ગયા હતા. તેમણે યમુનાને તેમની પાસે આવવાનો આદેશ આપ્યો. યમુનાએ ના પાડી. ક્રોધિત થઈને બલરામે પોતાનું હળ ઊંચું કર્યું અને નદી-દેવીને પોતાની તરફ ખેંચ્યાં.

ખુશવંત સિંહ, તેમનાં પુસ્તક, દિલ્હી,માં આ ઘટનાનાં લોકકથાના એવાં સંસ્કરણનું વર્ણન કરે છે, જે મુજબ બલરામે યમુનાને વાળથી ખેંચી હતી અને પોતાનું ધાર્યું કર્યું હતું. યમુનાના સંઘર્ષોએ દિલ્હીની આસપાસ નદીના અનેક વળાંકોને જન્મ આપ્યો મનાય છે.

કેટલાક નૃવંશશાસ્ત્રીઓના મતે, આ વાર્તા, સુરસેના પ્રજાતિ દ્વારા નહેર સિંચાઈનું સૂચન કરે છે. બલરામ, તેમના હળ સાથે એ પ્રજાતિ માટે, કૃષિના દેવ હતા, જ્યારે કૃષ્ણ તેમની ગાયો સાથે તેમના પશુપાલનના દેવ હતા; બન્ને મળીને તેઓ, પુરાતત્વવિદોના મતે, ઇ. સ. પૂર્વે ૬૦૦ વર્ષો પહેલાં ધમધમતી સંસ્કૃતિની પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓના દેવો હતા.

આજે, યમુનાના કિનારાઓ પર આવેલા, અનિયંત્રિતપણે પર્યાવરણને નુકસાન કરતા, ઉદ્યોગોને કારણે નદી ભયંકર રીતે પ્રદૂષિત છે. ખેડૂતોની દુર્દશાને અવગણતા ઔદ્યોગિક ક્ષેત્રો, વિશેષ આર્થિક ક્ષેત્રો અને સાંસ્કૃતિક તહેવારો માટે નદીના કિનારાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેનો વિવાદ શમતો જ નથી. છે. અલબત્ત, મૂડીવાદીઓ પર્યાવરણવાદીઓના તમામ દાવાઓને નકારી કાઢશે, અને સામ્યવાદીઓ મૂડીવાદીઓના તમામ દાવાઓને નકારી કાઢશે. આ તો કુતરૂં તાણે ગામ ભણી અને શિયાળ તાણે જંગલ ભણી વાળો તાલ છે. આપણે કોને માનીએ છીએ - જીવનની સમસ્યાઓના સ્માર્ટ ઉકેલો માટે લાખો અનુયાયીઓ દ્વારા શ્રદ્ધાની મૂડી પર બેઠેલા શ્રીમંત ગુરુઓને, કે અવિરતપણે વિકાસ વિરોધી અને સરકાર વિરોધી (અથવા પર્યાવરણ તરફી) લાગે છે એવા પેલા કાર્યકર્તાઓને? કે એવી સરકારને માનીશું કે જે એનજીઓ બાબતે જેટલી શંકાસ્પદ હોય છે તેટલી ટીકા ભગવા-વસ્ત્રોવાળા બ્રહ્મચારી પુરુષોની નથી કરતી? આપણે એક બાજુ જ્યારે દલીલો અને ચર્ચાઓ કર્યા કરીએ છીએ, ત્યારે બીજી બાજુ લાચાર, ગંદી, ઉપેક્ષિત, લોકોના તેની સાથેના દુર્વ્યવહારો સહ્યા કરતી અને કદાચ હવે તો કૃષ્ણ દ્વારા પણ ત્યજી દેવાયેલી, યમુના એકલી અટૂલી વહ્યા કરે છે !

  • મિડ - ડેમાં  ૧૩માર્ચ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A forlorn Yamuna નો અનુવાદ હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪

બુધવાર, 21 ફેબ્રુઆરી, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૨]

 As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદના પહેલા અંકથી આગળ

હજાર વાર બોલાતું અસત્ય પણ સત્ય લાગવા લાગે છે એવું જે કહેવાય છે તે અમસ્તું જ તો નહીં જ હોય! તેમાં પણ ઇતિહાસની વાત આવે ત્યારે તો ઇતિહાસની ઘટનાઓને કોણ લખે છે એ પણ મહત્ત્વનું બની જતું હોય છે. જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ [૨] માં જ્યોર્જ ઑર્વેલ કહે છે કે 'ઇતિહાસ હંમેશાં વિજેતાઓ લખે છે'. એમનો કહેવાનો ભાવાર્થ એ છે કે એ ઇતિહાસ વિજેતાની રાજકીય વિચારસરણી કે શાસન પદ્ધતિને અનુસાર જ લખાતો હોય છે. એ સમયની પેઢી પછી નવી આવનારી પેઢીઓ માટે તો એ ઇતિહાસ જ હકીકત બની જવાનો છે. અને તેથી જ, કદાચ, તેઓ 'ભવિષ્યના ઇતિહાસકારની નોકરીની ઈર્ષ્યા' નથી કરતા !

+                 +                      +                      +

૪ ફેબ્રુઆરી, ૧૯૪૪
જ્યારે સર વોલ્ટર રેલે લંડનના ટાવરમાં કેદ હતા, ત્યારે તેમણે વિશ્વનો ઇતિહાસ લખવામાં પોતાની જાતને વ્યસ્ત કરી લીધી હતી. તેમણે પહેલો ભાગ પૂરો કર્યાના બીજા દિવસે કામ કરી રહ્યા હતા ત્યારે તેમની કોટડીની બારી નીચે કેટલાક કામદારો વચ્ચે ઝપાઝપી થઈ અને તેમાંના એક માણસનું મોત થયું હતું. ખુબજ ચીવટપૂર્વક પૂછપરછ કરવા છતાં, અને તેમણે ખરેખર વસ્તુ બનતી જોઈ હતી તે હકીકત હોવા છતાં, સર વોલ્ટર ક્યારેય આ ઝઘડો શું હતો તે શોધી શક્યા ન હતા; તેથી, એવું કહેવાય છે કે - અને જો આ વાત સાચી ન હોય તો તે ચોક્કસપણે હોવી જોઈએ - તેમણે જે લખ્યું હતું તે બાળી નાખ્યું અને તેમના પ્રોજેક્ટને છોડી દીધો.

આ વાત મારા મગજમાં છેલ્લા દસ વર્ષમાં કેટલી વાર આવી છે તે ખબર નથી, પરંતુ હંમેશા એ વિચાર સાથે જ આવી છે કે રેલે કદાચ ખોટા હતા. તે દિવસોમાં સંશોધનની તમામ મુશ્કેલીઓને, અને જેલમાં સંશોધન હાથ ધરવાની મુશ્કેલીઓને તો ખાસસ્વીકારીને પણ કહી શકાય કે, તેઓ કદાચ એવા વિશ્વ ઇતિહાસનું નિર્માણ કરી શક્યા હોત જે ઘટનાઓની સાચી દિશા સાથે કંઈક સામ્યતા ધરાવતો હોય. એકદમ હમણાં સુધી, ઇતિહાસના પુસ્તકોમાં નોંધાયેલી મુખ્ય ઘટનાઓ સંભવતઃ બની હતી. હેસ્ટિંગ્સનું યુદ્ધ ૧૦૬૬ માં લડવામાં આવ્યું હતું, કોલમ્બસે અમેરિકાની શોધ કરી હતી, હેનરી છ્ઠ્ઠાને છ પત્નીઓ હતી, વગેરે કદાચ સાચું છે.  કોઈ હકીકત આપણને ન ગમતી હોવા છતાં પણ સાચી હોઈ શકે છે તે સ્વીકારવામાં આવે તો સત્ય એક હદ સુધી શક્ય છે. દાખલા તરીકે, છેલ્લા યુદ્ધના અંત સુધી પણ એન્સાઈક્લોપીડિયા બ્રિટાનીકા માટે,તેના લેખોનું સંકલન, આંશિક રીતે, વિવિધ અભિયાનોના જર્મન સ્ત્રોતોમાંથી લીધેલા અહેવાલો પરથી  કરવું શક્ય હતું. જાનહાનિના આંકડા જેવાં કેટલાંક તથ્યો તટસ્થ માનવામાં આવ્યા હતા અને દરેક દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. હવે એવું કંઈ શક્ય નહીં બને. વર્તમાન યુદ્ધના નાઝી અને ગૈર-નાઝી સંસ્કરણો એકબીજા સાથે કોઈ સમાનતા ધરાવશે નહીં, અને  આખરે ઇતિહાસના પુસ્તકોમાં શું આવે છે તે પુરાવા પદ્ધતિઓ દ્વારા નહીં પરંતુ યુદ્ધના મેદાન પર નક્કી કરવામાં આવશે.

સ્પેનિશ ગૃહયુદ્ધ દરમિયાન હું ચોક્કસપણે અનુભવતો હતો કે આ યુદ્ધનો સાચો ઇતિહાસ ક્યારેય લખી શકાશે નહીં. સચોટ આંકડાઓ, શું થઈ રહ્યું હતું તેના નિરપેક્ષ અહેવાલો, અસ્તિત્વમાં જ ન હતા. સ્પેનિશ સરકાર હજી અસ્તિત્વમાં હતી, અને વિવિધ રિપબ્લિકન જૂથો એકબીજા વિશે અને દુશ્મન વિશે જે જૂઠાણું બોલતા હતા તે પ્રમાણમાં નાનાં હતા, તેમ છતાં મને ૧૯૩૭માં પણ એમ લાગ્યું હતું કે હવે આખો મુદ્દો કેમ ટકી રહ્યો છે? જો ફ્રાન્કોને ઉથલાવી દેવામાં આવે તો પણ, ભાવિ ઇતિહાસકારને કયા પ્રકારના દસ્તાવેજોનો આધાર મળશે? અને જો ફ્રાન્કો અથવા તેના જેવું લાગતું કોઈ પણ, સત્તામાં રહે, તો તો યુદ્ધના ઇતિહાસમાં મોટાભાગે એવાં જ 'તથ્યો' હશે જે હવે પછીથી રહેતા લાખો લોકો  એ બધું જૂઠાણું હોવાનું જાણતા હશે. દાખલા તરીકે, આવાં 'તથ્યો'માંનું એક એ છે કે સ્પેનમાં નોંધપાત્ર સંખ્યાબળમાં રશિયન સૈન્ય હતું. એટલે સુધીના પુષ્કળ પુરાવા છે કે આવું કોઈ સૈન્ય હતું નહીં. તેમ છતાં જો ફ્રાન્કો સત્તામાં રહે છે, અને જો સીધી સાદી સામાન્ય રીતે ફાશીવાદ ટકી રહે, તો તે રશિયન સૈન્ય ઇતિહાસના પુસ્તકોમાં રહેશે અને ભાવિ શાળાના બાળકો તેના પર વિશ્વાસ પણ કરશે. આમ, વ્યવહારિક દૃષ્ટિએ, અસત્ય સત્ય બની જશે.


આ પ્રકારની વસ્તુ દરેક સમયે થતી રહી છે. ઉપલબ્ધ હોવાં જોઈએ તેવા લાખો ઉદાહરણોમાંથી
, ચકાસી શકાય તેવું હું એક પસંદ કરીશ. ૧૯૪૧ અને ૧૯૪૨ના ભાગ દરમિયાન, જ્યારે જર્મન હવાઈદળ  રશિયામાં વ્યસ્ત હતું, ત્યારે જર્મન રેડિયોએ તેના પોતાના શ્રોતાઓને લંડન પર વિનાશકારી હવાઈ હુમલાઓની કથાઓનાં વર્ણનોથી મજા કરાવી. પરંતુ, આપણે જાણીએ છીએ કે એવા હુમલાઓ થયા નહોતા. પરંતુ જો જર્મનો બ્રિટન પર વિજય મેળવે તો આપણા જ્ઞાનનો શું ખપ રહે? ભાવિ ઇતિહાસકારના હેતુઓ માટે, શું તે હુમલાઓ થયા હતા, કે નહોતા થયા? જવાબ છે: જો હિટલર બચી ગયો, તો એ મુજબ થયું હતું, અને જો તે ગયો, તો એવું કેશું બન્યું જ નથી.. તેથી છેલ્લા  દસ કે વીસ વર્ષની અસંખ્ય અન્ય ઘટનાઓ સાથે. શું સિયોનના વરિષ્ઠોના કરાર (Protocols of Eders of Zion) સાચા દસ્તાવેજ છે? શું ટ્રોત્સ્કીએ નાઝીઓ સાથે કાવતરું કર્યું હતું? બ્રિટનના યુદ્ધમાં જર્મનીના કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં? શું યુરોપ નવી વ્યવસ્થાનું સ્વાગત કરે છે? કોઈ પણ સંજોગોમાં, આપણને કોઈ એક એવો જવાબ  નહી મળે જે સાર્વત્રિક રીતે એટલે સ્વીકૃત છે કે તે સાચો છે: દરેક કિસ્સામાં આપણને સંખ્યાબંધ તદ્દન અસંગત જવાબો મળશે, જેમાંથી એક એવો હશે જે શારીરિક સંઘર્ષના અંતે આખરે અપનાવવામાં આવશે. ઇતિહાસ, હંમેશાં, વિજેતાઓ દ્વારા લખવામાં આવે છે.

છેલ્લા વિશ્લેષણમાં આપણો વિજય માટેનો એકમાત્ર દાવો એ છે કે જો આપણે યુદ્ધ જીતીશું તો તેના વિશે આપણા વિરોધીઓ કરતાં ઓછા જૂઠાણાં બોલીશું. સર્વાધિકારવાદ વિશે ખરેખર ભયાનક બાબત એ નથી કે તે 'અત્યાચાર' કરે છે પરંતુ એ છે કે તે નિરપેક્ષ સત્યના ખ્યાલ પર હુમલો કરે છે; તે ભૂતકાળ તેમજ ભવિષ્યને નિયંત્રિત કરવાનો દાવો કરે છે.  તમામ જૂઠ અને હું - સાચો વૃત્તિને તમામ રીતે યુદ્ધ દ્વારા પ્રોત્સાહન અપાતું હોવા છતાં, મને પ્રામાણિકપણે નથી લાગતું કે એવું કહી શકાય કે મનની આદત બ્રિટનમાં વધી રહી છે. એક વસ્તુને બીજી સાથે રાખીને, મારે કહેવું જોઈએ કે આજે અક્બરા જગત યુદ્ધ પહેલાંની સરખામણીમાં થોડું મુક્ત છે. હું મારા પોતાના અનુભવથી જાણું છું કે હવે એવી વસ્તુઓ છાપી શકાય છે જે દસ વર્ષ પહેલા છાપી શકાતી નહોતી.. છેલ્લા યુદ્ધની સરખામણીએ આ યુદ્ધમાં યુદ્ધ વિરોધીઓ સાથે કદાચ ઓછો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, અને જાહેરમાં અપ્રિય અભિપ્રાયની અભિવ્યક્તિ ચોક્કસપણે વધુ સલામત છે. તેથી, થોડી આશા છે કે, સત્યને આપણી બહારની વસ્તુ તરીકે વિચારતાં, કંઈક શોધવાનું છે એમ માનતાં, જેમ જેમ આગળ વધીએ તેમ તેમ તેમાં પૂર્તિ ન કરી શકાય એવાં. ઉદારવાદી માનસની આદત ટકાવી રાખી શકાશે.શે. તેમ છતાં, હું હજુ પણ ભાવિ ઇતિહાસકારની નોકરીની ઈર્ષ્યા કરતો નથી.  વર્તમાન યુદ્ધમાં થયેલી જાનહાનિનો અંદાજ પણ અમુક લાખોની ચોક્કસ સંખ્યામાં નથી લગાવી શકાતો એ શું આપણા સમય પરની વિચિત્ર ટીકા નથી?

+                 +                      +                      +

Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society


જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.

 





+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ