બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

ગીતાને ૫૧૫૨ વર્ષ થયાં - દેવદત્ત પટ્ટનાઈક

imageએક અંદાજ પ્રમાણે મહાભારતનાં કુરૂક્ષેત્રના રણમેદાનમાં લડાયેલું યુદ્ધ ઇસવી સન પૂર્વે ૩૧૩૭માં થયું હતું એમ માનવામાં આવે છે.આ અંદાજનો આધાર પ્રખ્યાત ચાલુક્ય રાજા. પુલકેશી બીજાના સાતમી સદીના ઐહોલે તરીકે જાણીતા શીલાલેખ પર છે. એ લખાણો પ્રમાણે મહાભારતનાં યુદ્ધને ૩૭૩૫ વર્ષ વીતી ચૂક્યાં હતાં. આ વાતના પૂરાવા એ જ મહાગ્રંથમાં ઉપયોગમાં લેવાયેલ જ્યોતિષીય માહિતીઓ અને હાલનાં દ્વારકાની નીચે સમુદ્રમાં મળેલ પૌરાણિક શહેરના અવશેષો દ્વારા પણ મળી રહે છે. આ બધા હિસાબે જોઈએ તો હિંદુ વિચારસરણીના એક પૂર્ણ અધિકૃત ગ્રંથ તરીકે ગીતાને આશરે ૫૧૫૨ વર્ષ થયાં.

જો કે ઇતિહાસવિદો આ દાવાઓ અંગે બહુ ઉષ્માજનક પ્રતિભાવ નહીં આપે. તેમની દૃષ્ટિએ આ બધી માન્યતાઓ કોઈ પુરાલેખીત દસ્તાવેજી પૂરાવાઓ પર નહીં, પણ સાહિત્યિક પૂર્વધારણાઓ પર આધારિત છે.

ઇતિહાસવિદોનાં આવાં સંશયાત્મક વલણ સાથે થોડી પણ સહમતી ધરાવનારને 'પશ્ચિમના રંગે રંગાઈ ગયેલ' કે 'હિંદુ વિરોધી માનસ'ની છાપ લાગી જતાં વાર નહીં લાગે. 'તમારૂં કહેવું છે કે મહાભારતનું યુદ્ધ થયું જ નહોતું ? કે પછી 'કૃષ્ણ હતા જ નહીં?' જેવા સવાલો ચારેકોરથી, ઉગ્ર સ્વરોમાં, તેમને ભોંકાવા લાગી પડશે.

પણ આ સવાલો પૂછનાર લોકોને પણ કદાચ જાણ નથી કે તેમના આ સવાલો આપણાં માનસ પરની વિદેશી હકૂમતોની હજૂ પણ ટકી રહેલી અસરોની આડપેદાશ છે.

આપણા પરના શાસનકાળ દરમ્યાન બ્રિટિશરોએ જોયું કે આપણને સમયબદ્ધ ઐતિહાસિક હકીકતો કરતાં સમયાતીત પૌરાણિક માન્યતાઓ માટે વધારે લગાવ હતો. હકીકતો અને પૂરાવામાં રસ ન લેતા હિંદીઓ તેમને સાવ અવૈજ્ઞાનિક માનસવાળા લાગ્યા.

તેમનું આ અવલોકન સાચું ગણીએ તો પણ આ તારણ તો સાચું છે તેમ સ્વીકારી ન શકાય. હિંદીઓ અ-ઐતિહાસિક જરૂર હશે પણ તેમને હકીકતો કે પૂરાવાઓમાં રસ જ નથી એમ તો ન કહેવાય - હા, ભલે એ રસ સ્થૂળ, દુન્યવી બાબતોને બદલે માનસિક વિચારોનાં જગતમાં હોય ! આમ પશ્ચિમના દેશોમાં, વીસમી સદીમાં ફ્રોઈડ પછીથી અહંકાર જેવા વિષયોની ચર્ચા થતી જોવા મળે છે, જ્યારે તેનાં મૂળ, ઇસવી સન પૂર્વે ૨૦૦૦માં લગભગ રચાયેલ આપણા સૌથી પ્રાચીન ગ્રંથ, ઋગ્વેદ,માં મળી આવે છે.

હિંદુ ઋષિઓમાટે સત્ય કે હકીકત એ જ છે સમય(કાળ),સંદર્ભ (સ્થાન) કે વ્યક્તિ (પાત્ર)ની સાથે બદલતું નથી, જેમ કે અબાધ, અમર્યાદીત, કાલાતીત, સનાતની પરિકલ્પના. આ વિચાર આપણા પ્રાચીન ઋષિઓને પ્રેમ, ધિક્કાર, લોભ જેવા સમયાતીત, ભૌગોલિક, વ્યક્તિગત કે સામાજિક સંદર્ભથી અસર ન પામતાં મનોવૈજ્ઞાનિક સ્તરે લઈ જાય છે.

વેદના સમયમાં, માનસિક સત્યોની શોધ શાસ્ત્રોક્ત વિધિઓ અને ભંગિમાઓ વડે રજૂ કરાતી હતી. તે પછી આ વિચારોની પતંજલિનાં યોગસૂત્ર જેવા ગ્રંથોમાં સૂત્રો તરીકે નોંધ રખાવાનું શરૂ થયું. છેવટે, એ બધાંને પ્રતીકો અને વિધિઓનાં સ્વરૂપે પૌરાણિક અને આગમી કથાઓ અને ધાર્મિક યાત્રાસ્થળો પર પણ અંકિત કરાયાં. મૂળ મુદ્દો એ છે કે જેનો આકાર છે તેવી ભૌતિક ચીજો - સગુણ -ની મદદથી જે નિરાકાર છે એવી મનોવૈજ્ઞાનિક - નિર્ગુણ - બાબતોની શોધ કરાઈ. આ દૃષ્ટિએ જોઈએ તો કૃષ્ણ કે રામ કે શિવની કથાઓ, સામાન્ય માનવીને સ્પર્શતી દુન્યવી બાબતોના પ્રતિભાવોની મનોવૈજ્ઞાનિક સ્વરૂપમાં સમજણ પૂરી પાડીને, માનવ મનનાં રચના-સ્થાપત્ય સમજવામાં મદદ કરે છે.

ઐતિહાસિક સંદર્ભોનાં સ્પષ્ટ જોડાણ વિનાની કૃષ્ણ કે રામ કે શિવ કે દુર્ગાની કથાઓમાં બ્રિટિશ શાસનકર્તાઓને જરા પણ સમજ ન પડતી. પશ્ચિમની સંસ્કૃતિમાં થયેલ તેમના ઉછેરને કારણે મનમાં રચાયેલાં મૂલ્યો તેમની ગતાગમને પાર હતાં. એ લોકોને મન ભૌતિક બાબતોનું જ મહત્ત્વ હતું. અને એટલે જ તેઓ માનતા કે 'જેનો ઐતિહાસિક સંદર્ભ હોય એ જ સાચું.' મોહમ્મદ, ઈસુ કે બુદ્ધને ઐતિહાસિક દૃષ્ટિએ સાબિત કરી શકાતા હતા માટે માત્ર તેમને જ સાચા માનવામાં આવ્યા. આ કારણે અકળાયેલા હિંદુઓ, સાવ અસંબંધ હદે જઈને પણ, રામ, કૃષ્ણ કે શિવનાં ઐતિહાસિક સ્વરૂપને સિદ્ધ કરવા લાગી પડ્યા હતા.

બ્રિટિશ શાસન પછીના સમાજવિદોને હવે સ્મરણ શક્તિનું અને પરંપરાગત માન્યતાનું અને મનોવિજ્ઞાનિક સત્યોનાં સમાજનાં ઘડતરનું મહત્ત્વ સમજાવા લાગ્યું હતું. '(ભૌતિક ઘટનાનાં) મનોવૈજ્ઞાનિક નિરૂપણ પણ સાચાં હોય' એ વાત હિંદુ ઋષિઓ તો હંમેશથી જાણતા હતા એ હવે તેમને બરાબર સમજાઈ ચૂક્યું છે.

પણ દુઃખદ પાસું એ છે કે રાજ પછીના સમયના સમાજવિદનો અવાજ લોકોના કાને પડતો નથી. રાજના સમયનાં તારણો હજૂ પણ આપણાં માનસ પર છવાયેલાં છે. વધારે ભૌતિક્વાદી, સમયની એક કક્ષામાં વધારે કેદ બનેલા, માનસીક, મનોવિજ્ઞાનિક કે કાલાતીત અભિગમને અવગણતાં આપણે લોકો બ્રિટિશરો જેવું ઈચ્છતા હતા તેવાં જ બની રહ્યાં છીએ.વધારે ને વધારે પ્રબળ થતો આ ભૌતિક અભિગમ રામ કે કૃષ્ણનાં ચોક્કસ જન્મસ્થળની બહુ જ પ્રબળ, ક્યારેક હિંસક પણ બનતી, ખોજમાં કે પૌરાણિક કથા પર આધારિત સાહિત્યના ધોધ સમા પ્રવાહ કે ગીતાનાં ૫૧૫૨ વર્ષની ઉજવણી જેવી ઘટનાઓમાં જોઈ શકાય છે.
clip_image001 'મિડ ડે'માં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, 5151 years of Gita, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૯, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૨, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો