જ્યારે જ્યારે લોકોને અભદ્ર ભાષા સાથે કામ પડે છે ત્યારે
ત્યારે લોકોને તે ચોંકાવી દે છે. અને તેમ છતાં કોઇ દેવી-દેવતાને ભાંડવાં એ એક
ધાર્મિક વિધિ છે તે પણ એટલું જ સાચું છે. તેને નિંદા સ્તુતિ તરીકે ઓળખવામાં આવે
છે. શોધી શોધીને અપશબ્દો વાપરવા કે અપમાનો
કરવાં પાછળનો તર્ક ભાવચિત્તશુધ્ધિદ્વારા નકારાત્મક ઉર્જા શરીરમાંથી કાઢી નાખવાનો
માનવામાં આવે છે. આપણા સેફટી વાલ્વમાંથી નીકળતી ઊંચા દબાણની વરાળની ગરમી દેવ જ સહન
કરી શકે.
ભણેલાં ગણેલાં સંસ્કારી, ઉચ્ચ વર્ગનાં સ્ત્રી અને પુરુષોની અંગત પાર્ટીઓમાં આ પ્રકારની ભાષા વાપરવી
એ આધુનિકતાની નિશાની ગણાય છે. તો આજે હવે કાર્યસ્થળે, પોતાની પારંપારિક બોલીને કારણે અજાણ્યે પણ આવી ભાષા વાપરવી એ બહુ જોખમી
પરિસ્થિતિ પેદા કરી શકે છે.
સવાલ એ છે કે અપશબ્દો, કે અભદ્ર ભાષા, કોને ગણવાં? આ સમજવા માટે આપણે સ્વાભાવિક (પ્રકૃતિ) અને સભ્ય (સંસ્કૃતિ) વચ્ચેનો તફાવત
સમજવો પડશે.પ્રાકૃતિકતામાં બધું જ ચાલે, ત્યાં કંઈ પણ સારૂં કે ખરાબ એવા ભેદભાવ નથી હોતા. જો કે ત્યાં 'અભદ્ર (!)' ભાષા જેવું પણ કંઈ નથી હોતું. માનવ સમાજ જેમ જેમ 'સભ્ય' થતો ગયો તેમ
તેમ કેટલીક બાબતો સ્વીકાર્ય ગણાઈ અને કેટલીક નહીં. અસ્વીકાર્યમાંની કેટલીક બાબતો 'અભદ્ર' કહેવાઈ અને
માટે કરીને બિલકુલ અસ્વીકાર્ય ગણાઈ. સંસ્કૃતિ આપણને સમાજના એક ચોક્કસ ઢાંચામાં
રહેવા માટે કેળવે છે. ભાષા એ કેળવણીનું એક માધ્યમ બની રહે છે. કેળવણી એક પ્રકારનું
નિયમન છે.આપણી લાગણીઓ અને ખરી ભાવનાઓને આપણે એટલા માટે દાબી દઈએ છીએ કે આપણે સારા
દેખાવું છે. સભ્ય સમાજમાં બાહ્ય દેખાવનું એક ખાસ મહત્ત્વ રહે છે માટે આપણું સારા
દેખાવું અગત્યનું બની રહે છે.
જ્યારે જ્યારે પ્રકૃતિ સંસ્કૃતિ પર હાવી થઇ જાય છે, ત્યારે સભ્યતાનાં સીમાક્ષેત્રની દીવાલો તૂટવા લાગે છે. આપણે જ્યારે બહુ
ક્રોધિત થઇએ છીએ ત્યારે આવું ખાસ બનતું જોવા મળે છે. ગુસ્સો આપણી સભ્યતાના બધાં જ
આંચળા ઉતારી કાઢે છે. પોતાનાં તીક્ષ્ણ નહોરને પંજામાંથી બહાર કાઢતું આપણું પશુત્વ
ખુલ્લું થઈ પડે છે. બધી જ લાગામો તૂટી પડે છે. બધા બંધ છૂટી જાય છે. ઠાંસીઠૂંસીને
જે કંઈ બાટલીમાં ભરી મૂક્યું હતું તે બધું ઊભરાઈ નીકળે છે. ભૂતકાળમાં જે કંઈ માફ કરાઈ ચૂક્યું તેના હિસાબો ફરીથી
ઉખળે છે. આપણાં સૌજન્યને કારણે આપણે જે જોતાં હતાં પણ કહેતાં નહોતાં તે બહાર આવવા
લાગે છે.આપણને ખબર છે કે આપણને જે કંઈ ખબર છે તે બીજાંને દુઃખ પહોંચાડી શકે છે.
અને તેમ છતાં આપણે એવાં જ બાણ છૉડીએ છીએ જે બીજાંની સૌથી નબળી જગ્યાએ જ જઈને ખૂચે.
મિત્રોમિત્રો વચ્ચે ખેલાતાં યુદ્ધો વધારે ભીષણ હોય છે, કેમકે એક મિત્ર બીજાં મિત્રની લગભગ
બધી જ નબળી બાજૂઓથી પરિચિત હોય છે.
એકબીજાનાં રહસ્યોનો પરિચય રાવણની એ નાભિ બની રહે છે, જ્યાં તીર લાગવાથી તે અમર નથી રહી શકવાનો એ તે મિત્રને ખબર છે. સારા
દિવસોમાં મિત્રએ સારમૂણસાઈમાં કહેલાં તેનાં રહસ્યો હવે તેની સામેનાં હથિયાર બની
જાય છે. અપશબ્દોનાં બાણોના માર ચલાવવાથી આપણે આપણી આસપાસ એક ઢાલ ખડી કરી લીધી છે
તેમ લાગવા લાગે છે. અપશબ્દોના વારથી આપને તેની લાગણીઓના લીરા ઉડાવી દેવાનું સંધાણ
કરી છીએ, જે ઘણી વાર
શારીરીક કે આર્થિક નુકસાન કરતાં પણ વધારે વિધ્વંસક પરવડી શકે છે. કાયદાની અદાલતમાં
લાગણીઓથી પહોંચેલી ઠેસની સાબિતી આપવી પણ મુશ્કેલ છે. આપણી આવી નબળી બાજૂઓ 'મિત્રમાંથી દુશ્મન' બનેલાં માટે
બહુ સરળ સાધ્ય બની રહે છે.આ કારણથી જ આપણે મોટી ઉમરે દોસ્તી વિકસાવવામાં ખચકાતાં
હોઈએ છીએ. વયસ્ક લોકોનાં સંબંધોને ખીલવા ન દેવામાં પણ આ ભય જ કામ કરે છે. આપણે
આપણી જાતને સગવડભરી, સુરક્ષિત ગુફામાં
ખોસી દઈએ છીએ, જેથી આપણાં
પ્રાકૃતિક 'સત્યો' લોકોની નજરોએ ન ચડે.
‘ધ મિડ-ડે' માં ૬ જુલાઈ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Fruit of Foul Language.નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો