વેદોમાં ભગવાનનો કોઈ ઉલ્લેખ નથી. ઈશ્વરની વાત જૂદી જૂદી
રીતે કહેવાઈ જરૂર છે, પણ પુરાણોમાં
જે ભગવાનનો ઉલ્લેખ છે તેવો કોઈ ચોક્કસ વિચાર નથી જોવા મળતો. વેદો લગભગ ૪૦૦૦ વર્ષ
જૂના છે અને પુરાણો ૨૦૦૦ વર્ષ જૂનાં છે. વેદોમાં કર્મકાંડની આચાર ક્રિયા પર બહુ
ભાર મૂકાયો છે જ્યારે પુરાણોના સમયમાં જેને સામાન્યતઃ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે
સર્વશક્તિમાન કર્તાહર્તાની ભક્તિને મહત્ત્વ અપાયું છે.
બૌદ્ધ અને જૈન
ધર્મોમાં જોકે ભગવાન એક સન્માનીય સંબોધન તરીકે વપરાયેલ છે. આ બન્ને એક ખાસ
પ્રકારની આશ્રમ કે મઠ પ્રકારની વ્યવસ્થા છે, એટલે તેમને ઇશ્વર સાથે બહુ લેવાદેવા નથી. તેમનો ઉપક્રમ જીવનનાં બંધનોમાંથી
મુક્તિ મેળવવાનો છે. જે કોઈ આ કરી શકે છે તેને ભગવાન કહેવામાં આવે છે, જેમ કે ભગવાન બુધ્ધ કે ભગવાન મહાવીર. આ પ્રકારની આશ્રમ
વ્યવસ્થામાં ભગવાન કેવળ જ્ઞાનની કક્ષાએ પહોંચી ચૂકેલ હોય છે એટલે સામાન્ય માણસને
ભય અને માયાનાં જે બંધનો હોય છે તે તેમને સ્પર્શતાં નથી. આમ ભગવાનનો પ્રયોગ સમજદાર
લોકોમાંની સૌથી વધારે જ્ઞાનપૂર્ણ વ્યક્તિના અર્થમાં કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં
ભગવાન તરીકેનો ઉલ્લેખ મહદ અંશે વિષ્ણુ માટે કરાતો હોય છે. વિષ્ણુ ભૌતિક દુનિયા
સાથે રામ કે કૃષ્ણ જેવા અવતારનાં રૂપે વ્યવહારો કરે છે જેમાં તેમને વળતરમાં કંઈ જ
અપેક્ષા નથી હોતી.ભગવાનના ખયાલને હિંદુ ધર્મની દૃષ્ટિએ સમજવા માટે યજ્ઞની વૈદિક
વિધિને સમજવી જોઈએ.
દરેક સજીવને
(ઈચ્છાઓની) તૃષ્ણા હોય જ
છે એ સમજ યજ્ઞના વિચારનો પાયો છે. યજ્ઞ કરનાર યજમાન એ અપેક્ષાએ આહુતિ આપીને દેવોને
ભોગ ચડાવે છે કે સામે દેવ પણ તેની જરૂરિયાતો પૂર્ણ કરશે.
મઠ વ્યવસ્થાના
૨૫૦૦ વર્ષ પૂર્વે વિકાસની સાથે લોકોએ તૃષ્ણાથી જ છૂટકારો મેળવવા માટે પ્રયાસ
આદર્યા. બુદ્ધે ઇચ્છાઓને તૃષ્ણા કહી. જૈન ધર્મમાં તૃષ્ણાને એવું બંધન કહેવાયું જે
ઉચ્ચ સ્થિતિએ પહોંચવામાં નડે છે. હિંદુ ધર્મમાં જેમણે તૃષ્ણાને અતિક્રમી છે તેને
દેવથી મહાન ગણ્યા અને મહાદેવ કે ઈશ્વર કે શિવ કહ્યા. પરંતુ શિવને કદાપિ
તૃષ્ણા હતી જ નહીં એટલે તેમને યજ્ઞાયાગમાં
ભાગ લેવા માટે તેમને કોઈ કારણ નહોતું. યજ્ઞમાં ભાગ લે એ ઈશ્વરને તો જે વ્યક્તિને તૃષ્ણા હોય તેને માટે
સહાનુભૂતિ હોવી જોઈએ. એવા તો વિષ્ણુ હતા. આમ, હિંદુ ધર્મમાં દૈવત્વના બે પાસાં છે - ઈશ્વર (શિવ) અને ભગવાન (વિષ્ણુ).
ભગવાન શબ્દનું
મૂળ 'ભાગ'માં જોઈ શકાય છે, જેનો અર્થ છે વહેંચવું. દરેક વ્યક્તિને દુન્યવી સુખોનો કંઈકને કંઈક હિસ્સો
જોઈતો હોય છે.મોટા ભાગે આપણને એવું લાગતું હોય છે કે બીજાના ભાગમાં જે કંઈ આવ્યું
છે તેના કરતાં આપણને ઓછું મળ્યું છે. જ્યારે સમૃધ્ધિની વહેંચણી કરવાની આવે છે
ત્યારે આપણે નક્કી નથી કરી શકતાં કોને કેટલો ભાગ મળવો જોઈએ. માત્ર ઈશ્વર જ જાણે છે
કે કોને પોતાનાં કર્મ મુજબ શું ભાગ મળવો જોઈએ. યથેષ્ટ 'ભાગ' એ નક્કી કરે છે, માટે એ 'ભગવાન' છે.
ભાગ એટલે કૂખ
કે દુન્યવી સુખ કે પછી ભાગ્ય પણ. બીજા શબ્દોમાં કહીએ તો ભાગનો અર્થ થાય છે ભૌતિક
વિશ્વ જે બધાં જ દુન્યવી સુખો, નસીબ કે ભાગ્યની કૂખ છે. ભગવાન એવા દેવ છે જે ભૌતિક વિશ્વ સાથે, ભાગ્ય સાથે તેમ જ તેનાંથી મળતા ઐંન્દ્રિય આનંદની સાથે વ્યવહાર રાખે છે. તે વિરક્ત નથી થતા. તે શિવ કે બુદ્ધ
કે મહાવીર જેવા સંન્યાસી નથી.
હેલીઓડોરુસ સ્થંભ અને તેના વિષેની ASI
દ્વારા જણાવેયેલી અધિકૃત માહિતી.
ભગવાનની ભક્તિ
કરતા, ભાગવત,નો ઉલ્લેખ સૌથી જૂના પુરાલેખ વાસુદેવ (વિષ્ણુ - કૃષ્ણ)ને
અર્પિત, મધ્ય પ્રદેશમાં
વિદિશામાં આવેલા, ગરૂડ સ્થંભમાં, લગભગ ઇ.સ. પૂર્વે ૧૦૦માં, બ્રાહ્મી
લિપિમાં કોતરેલ લખાણમાં જોવા મળે છે. એ છે હેલીઓડોરૂસ, તક્ષિલાના યવન રાજા ઍન્ટીઆલ્સિડાસે ભાગભદ્રના દરબાર મોકલેલ ઈન્ડો-ગ્રીક
રાજદૂત.
ધ મિડ ડે માં
૧૦ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Meaning of Bhagavanનો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૪ મે, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો