મોટા ભાગે જમણેરી કટ્ટરવાદીઓ 'હિંદુ એટલું ખરાબ'ની પ્રચલિત થતી જતી માન્યતા માટે કાગારોળ મચાવતા હોય છે. પણ તેમને કોઈ ખાસ
ગંભીરતાથી લેતું નથી કારણકે એ લોકોને તો રાઈનો પહાડ કરીને બૂમબરાડા પાડવાની તક
ખોળી કાઢવાની ટેવ પડી ગઈ છે એમ માની લેવામાં આવે છે. જો કે હકીકત તો એ છે કે જે
કોઈ હિંદુ-દ્વેષની જરા સરખી પણ વાત કરે તો તેને 'ભગવા' માનસમાં ખપાવી
દેવાનું ચલણ વધી ગયું છે. અને એટલે પછી, કોઈ પણ કક્ષાની કે પ્રકારની ચર્ચાઓ પર બુચ વાગી જાય.
સમલૈંગિકતા કે
ઇસ્લામ પ્રત્યેની
ગ્રંથિ જેવા વિષયો જેમ ભારતના મધ્યમ
વર્ગના માનસપટ એક ચોક્કસ અસર કરે છે તેમ બીજેપીના વધતા જતા પ્રભાવ અને સામાજિક તેમ
જ જાહેર માધ્યમો પર 'ઉદારમતવાદીઓ'ની છલકાતી મનોવિકૃતિને કારણે હિંદુત્વની તરફેણની કે
વિરૂધ્ધની ચર્ચાઓ પણ આ વર્ગ પર સ્થાયી અસરો ઊભી કરે છે.
આપણા દેશની
મોટા ભાગની પ્રજા હિંદુ હોવાને કારણે આપણને ભારતમાં 'હિંદુ એટલું ખરાબ' એવી ગ્રંથિ બહુ જોવા કદાચ ન મળે. વળી ભારતમાં ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેની
ભેદરેખા પણ બહુ પાતળી છે. જેમકે ભારતની સ્ત્રીઓના પરંપરાગત પોષાક સાડીને ધર્મની
નિશાની ગણવી કે સંસ્કૃતિક પરંપરા ગણવી? કહેવાય છે કે પાકિસ્તાનમાં રાજકીય આગેવાનો સાડીનો વિરોધ તેના ધર્મ સાથે
સંકળાવાને કારણે કરે છે. ટીવી ચેનલો પણ ધર્મનિરપેક્ષ દેખાવા માટે પરદા પર દેખાવા
મળતાં તેમનાં સ્ત્રી કર્મચારીઓને સાડી ન પહેરવાનો (આડકતરો જ હશે એવો)આગ્રહ રાખતા
હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે તેમનો પહેરવેશ પાશ્ચાત્ય ઢબનો રાખવાથી ચેનલ
આધુનિક છે એમ પણ દેખાય અને સાથે સાથે ધર્મ કે સાંસ્કૃતિક વલણોથી નિરપેક્ષ છે એમ પણ
દેખાય એવી વ્યૂહરચનાની પાછળ પણ આવો જ કોઈક તર્ક જાણેઅજાણે અપનાવાયો હોય તેમ પણ
માનવામાં આવે છે.
જે લોકો પોતાને
ઉદારમતવાદી કે ધર્મનિરપેક્ષ ગણાવવા મથે છે તેમને 'હિંદુ એટલું ખરાબ' એવી ગ્રંથિનો જ્વર વધારે ચડતો જોવા મળે છે. ભારતીય ટેલીવીઝન માધ્યમ પર જોવા
મળતી જાહેરાતોમાં યુવાન પાત્રોને આધુનિક બતાવીને તેમની ધર્મ કે સાંસ્કૃતિક ઓળખને
બીનમહત્ત્વની દર્શાવવાનો બહુ સભાન પ્રયાસ કરાતો જોઈ શકાશે. બેમાંથી એક તરફ ઢળવું
પણ કંઈક અંશે જુનવાણી માનસ ગણાય છે જે મધ્યમ વર્ગને ઉદ્દેશીને બનાવાતી ચાલુ
સામાજિક સિરીયલોમાં જ ચાલે એમ માનવામાં આવે છે.
ભારતની બહાર હિંદુત્વ વિષેની દહેશત હિન્દુત્વને કઈ રીતે
રજૂ કરવામાં આવે છે તેના પરથી જોઈ શકાય છે.તેનું એક કારણ એ પણ છે કે મોટા ભાગના
દેશોમાં મૂળતઃ ધાર્મિક માન્યતા ક્યાં તો ખ્રીસ્તી કે ક્યાંતો ઈસ્લામ ધર્મથી ઘડાયેલ
હોય છે. દેવળ/ મસ્જિદ, રવિવારની
પ્રાર્થના સભા કે શુક્રવારની નમાજ સિવાય પણ માણસ કોઈ પણ ધર્મને કેમ અનુસરી શકે એ
વાત હિંદુઓ આ લોકોને સમજાવી નથી શકતા. તેમાં પાછી હિંદુ ધર્મની અનેક દેવીદેવતાઓ કે
પુનર્જન્મ કે ભાતભાતના રિવાજો જેવી બાબતો આખા પ્રશ્નને સમજવાનું વધારે અઘરૂં બનાવી
દે છે. એ પણ હકીકત છે કે વિદેશમાં વસતાં મોટા ભાગનાં હિંદુઓએ પણ જ્યારે તેઓ
ભારતમાં હતાં ત્યારે હિંદુ ધર્મને સાચા અર્થમાં તો સમજ્યાં પણ નથી હોતાં. એ લોકો
તો આર્થિક જરૂરિયાતની પાછળ વિદેશ જઈને વસ્યાં છે, એટલે જ્યારે પોતાનાં એ દેશનાં આડોશપાડોશનાં સામાન્ય લોકોને કે પોતાનાં
સંતાનોને હિંદુ ધર્મ વિષે સમજાવવાનું આવે ત્યારે તેમને લોચા વળવા લાગે અથવા તો જે
તેમને સમજાયું છે તે વટથી સમજાવે કે પછી એ બાબત રસ જ ન દાખવે. આપણાં સાંસ્કૃતિક
અને સામાજિક વૈવિધ્ય આ કામને પાછું વધારે મુશ્કેલ બનાવે. એટલે હિંદુ ધર્મ વિષે
સમજવા માટે જમણેરી માન્યતા ધરાવતાં લોકો જ એક માત્ર સ્ત્રોત બની રહે તેવી પરિસ્થિતિ
પેદા થઈ રહે છે.
મોટા ભાગે સારી
દાનત ધરાવતા પણ (આ વિષય પૂરતા) કંઈક અંશે વધારે પડતા સીધા સાદાં અને જાણ્યેઅજાણ્યે
વિવાદોમાં ઉલઝી પડતાં પાશ્ચાત્ય વિદ્વાનો પણ આ બાબતને ગુંચવવામાં તેમનો ફાળો ઉમેરી
કાઢે છે.એ લોકો એવાં શાસ્ત્રો પર સંશોધનો કરતાં હોય જે સામાન્ય હિંદુ વાંચવાનો ન હોય.
એટલે એ લોકો જે કંઇ ખોળી લાવે તે સામાન્ય હિંદુ માટે પણ અજ્ઞાત હોય એવું બને.
જેમકે 'હિંદુઓ નર લિંગ
સ્વરૂપની પૂજા કરે પણ માણસજાતની જાતીય જરૂરિયાતનો પરિત્યાગ કરવાને ગુણ ગણે' કે 'ગીતામાં તો વર્ણભેદ અંગે બહુ ગુંચવનારાં વિધાનો જોવા મળે છે' જેવાં કથનો સરેરાશ હિન્દુને તો માથાં પરથી જ જાય. પશ્ચિમના
દેશોનાં વિશ્વવિદ્યાલયો અને તેમાં ભણતાં વિદ્યાર્થીઓ (જેમાં વિદેશાગમન કરી ગયેલા
પેલા હિંદુ વિદ્યાર્થીઓ પણ ખરા) પુસ્તકમાં કંઈક છપાયું છે એટલે એ તો 'સાચું જ હોય' એમ માની લે. પણ તેઓ મૂળ મુદ્દાની વાત એ ભૂલે છે કે હિંદુ ધર્મ કોઈ
પુસ્તકમાં જ લખાયો નથી, પણ લોકોની માન્યતાઓ અને રિવાજોનું જૂદા જૂદા સમયનું, અને તે પણ ભારતમાં પણ જૂદી જૂદી જગ્યાએ જૂદાં જૂદાં રૂપે
જોવા મળી શકતું, પ્રતિબિંબ છે.
આમ ગુંચવાડામાં વધારો જ થતો રહે છે, જે વિદેશમાં વસતા ઘણા ભારતીયોની હેરાનગતિમાં ઉમેરો જ કરે છે.
ધ મિડ ડે માં
૨૫ મે,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The rise of Hindu-phobia?નો અનુવાદ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૧ જુન, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો