બુધવાર, 9 ઑગસ્ટ, 2017

પ્રક્રિયાનું મહત્વ - સુબ્રોતો બાગચીના શબ્દોમાં



- તન્મય વોરા
સુબ્રોતો બાગચીનાં પુસ્તક "The High Performance Entrepreneurની મારી વ્યાવસાયિક વિચારધારાની ઔદ્યોગિક સાહસી બાજૂ પર ઊંડી અસર રહી છે. ઉદ્યોગવેપાર કરવાના વ્યવસાય વિષે સમજવામાં આ પુસ્તકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. છેક પાયાથી કોઈ પણ વ્યાપાર-ઉદ્યોગ સંસ્થાનાં ઘડતર કરવાની ઘણી હૈયાઉકલતવાળી બાબતો તેમાં ખૂબ સરળતાથી કહેવાઈ છે.
પ્રક્રિયા-અભિમુખ સંસ્થાનું ઘડતર (Building a Process-Focused Organization)શીર્ષસ્થ પ્રકરણમાં સુબ્રોતો બાગચી એક બહુ ચોટદાર ઉદાહરણની મદદથી પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવે છે.
ફ્યુજી ઝેરોક્ષ જાપાનની ફ્યુજી અને અમેરિકાની ઝેરોક્ષનું સંયુક્ત સાહસ હતું. પોતાની પિતૃક સંસ્થા ઝેરોક્ષને પ્રખ્યાત માલ્કમ બાલ્ડ્રીજ પુરસ્કાર મળ્યો તેનાથી પણ પહેલાં ફ્યુજી ઝેરોક્ષને સુપ્રસિધ્ધ ડેમીંગ પ્રાઈઝ ફૉર ટોટલ ક્વૉલિટીનો પુરસ્કાર મળી ચૂક્યો હતો.આવી કંપનીના એક વરિષ્ઠ સંચાલક તેમની ટીમને સંસ્થામાં સ્પર્ધાત્મક સરસાઈ સિધ્ધ કરવા માટે જરૂરી માળખું ઊભું કરવાના ભાગ રૂપે પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા... ટીમના એક યુવાન સભ્યે પૂછવા ખાતર જ પૂછી નાખ્યું કે 'પણ માઈકલ એન્જેલો ક્યાં કોઈ પ્રક્રિયા મુજબ કામ કરતા હતા?'
સંચાલકે જરાય વિચલિત થયા વિના જવાબ આપ્યો, 'પહેલાં માઈકલ એન્જેલો તો બનો.
એ સિવાયના બાકી બધાંએ તો પ્રક્રિયા અનુસાર જ કામ કરવું પડે.'

થોડા સમય પહેલાં મારી સાથે દલીલ કરતાં કરતાં એક જણાએ કહ્યું કે અમે લોકો તો સર્જનાત્મક પ્રવૃત્તિનાં ક્ષેત્રમાં છે, એટલે અમને પ્રક્રિયાની જરૂર ન પડે. મારૂં એવું જરૂર માનવું છે કે સર્જનાત્મકથી માંડીને કોઈ પણ પ્રકારનાં ક્ષેત્રમાં પ્રક્રિયાનું આગવું મહત્ત્વ છે. કલાકાર હોય કે લેખક હોય કે કોઈ પણ સર્જનાત્મક કલાકાર હોય, દરેક જણને તેમની સફળતાને દોહરાવવી હોય અને તેને સતત નવીં ઊંચાઈઓ પર પણ લઈ જવી હોય. એ લોકો અચુક (કોઇને કોઈ સ્વરૂપે, સભાન કે અભાનપણે) પ્રક્રિયાનો સહારો તો લેવો જ પડતો હોય છે. એ  લોકો માટે તે એટલી અંગત સ્તરે થતી ક્રિયા છે કે બહારથી જોનારને તે મોટા ભાગે નજરે ન ચડતી હોય. સરવાળે તો એક સાધન તરીકે પ્રક્રિયાના અસરકારક ઉપયોગથી જ તેઓ પોતાની કળામાં માહેર બની રહે છે.
સુબ્રોતો બાગચી તો હજૂ આગળ કહે છે કે :
એ સ્તરે પહોંચેલ દરેક સર્જનાત્મક વ્યક્તિનું પ્રક્રિયા માટે એક બહુ જ જોરદાર જોડાણ બની ચૂક્યું હોય છે. હા, તેમણે જે સ્વરૂપે પ્રક્રિયાને આત્મસાત કરી હોય છે તે બીનનુભવી આંખને નજરે ન ચડે. એટલે તમારે કંઈ પણ યાદગાર સર્જન કરવું હોય તો તમારે પ્રક્રિયાને સમજવી અને માનથી જોવી રહી.
ટીમ અને સંસ્થાનાં ઘડતર કરનાર માટે આ લાખેણી સલાહ છે.
છેલ્લે, મારાં પુસ્તક, #QUALITYtweet માંનું એક વિધાનઃ

"આપણે જે કંઇ કરીએ છીએ તે બધું જ પ્રક્રિયા છે જેમાં હંમેશાં સુધારણા શક્ય હોય જ છે."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો