કેરળમાં, સામાન્ય
રીતે જુલાઈ-ઓગસ્ટ મહિનાના સમયમાં આવતો પરંપરાગત કાર્કીદકમનો મહિનો ભારી ચોમાસાં
સાથે આવતો હોય છે. એક સમયે તે અછત, ભેજ
અને બીમારીઓનો સમય ગણાતો. ખેતરોમાં કંઈ કામ ન હોય અને ઘરે બેસી રહેવું એટલે કયાં
તો બેઠા બેઠા કંટાળવું કે કારણ વગરના ઝઘડાઓમાં પડવું. આ
પરિસ્થિતિના ઉપાય તરીકે લોકોએ રામાયણ
વાંચવાનું શરૂ કર્યું. આમ હવે પછી આ મહિનો
રામાયણના મહિના તરીકે ઓળખાતો થઈ ગયો.
અહીં જે વંચાતું તે
૧૬મી સદીમાં તુંચત્તુ રામાનુજન એઝુતચને (અનુવાદકની
નોંધઃમલાયલમ ભાષામાં ખરો ઉચ્ચાર જૂદો પણ હોઈ શકે છે) લખેલ મલયાલયમ આધ્યાત્મ રામાયણ હતું.તુલસીદાસે અવધિમાં રામચરિત
માનસ લખ્યું લગભગ એ જ સમયમાં આ રામાયણ પણ લખાયું છે.મોટા ભાગના હિંદી ભાષીઓને
રામાયણનાં આ સંસ્કરણની જાણ નથી. જેમ
તુલસીદાસનું રામાયણ લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં લખાયેલ વાલ્મિકી રામાયણથી ઘણી જગ્યાએ
અલગ પડે છે એમ એઝૂતચનનું રામાયણ પણ ઘણું અલગ પડે છે.
વાલ્મિકી રામાયણમાં
કેન્દ્રમાં રામ વીર નાયક તરીકે છે જ્યારે
તુલસી કૃત રામયણની જેમ એઝુતચનનાં રામાયણ રામને ભગવાનનું પદ અપાયું છે. આમ વાલ્મિકી
રામાયણના પૂર્વ-બુધ્ધ સમયની કાર્મકાંડ અને વીરરસ પ્રધાન વિચારસરણીને બદલે
અનુ-બુધ્ધ સમયમાં હિંદુ વિચારસરણીમાં વધી ચૂકેલ ભક્તિનાં માહાત્મ્યની અહીં અસર
જોવા મળે છે.એઝુતચનનાં રામાયણની એક ખાસ વિશિષ્ટતા એ છે કે તેમાં રાવણ સીતાની નકલ સરખાં
માયા-સીતાનું અપહરણ કરે છે જ્યારે મૂળ સીતા અગ્નિ દેવ પાસે રહે છે.
એઝુતચનનાં રામાયણની એક
નોંધવા લાયક ખાસ બાબત એ છે કે તે ગ્રંથ આધારિત મલયાલમ લિપિના વિકાસનું એક સીમા
ચિહ્ન ગણાય છે. આ પહેલાં મલાયાલમ લિપિ
વટ્ટૅલ્લુટ્ટુ લિપિ મુજબ ચાલતી હતી. આમ મલાયલમમાં મૂળ તમિળ કે તુલુ પ્રભાવની
જગ્યાએ બહુ જ સંસ્કૃતમય મલયાલમ સાહિત્ય રચાવા લાગ્યું.
એઝુતચન કદાચ ઘાંચી
કોમના હતા; ભક્તિ પર જેમણે બહુ
લખ્યું છે એવા મહાન વેદાંત વિદ્વાન રામાનુજના તેઓ અનુયાયી હતા. તેમનાં કામનાં
સન્માન રૂપે તેમને એઝુતચનની પદવી અપાઈ હતી. એઝુતચનનો અર્થ થાય છે વાંચતાં અને
ભણાવતાં આવડતું હોય એવું વડીલ.ત્યાર સુધી માત્ર બ્રાહ્મણો પૂરતાં જ મર્યાદિત
એવાં વેદિક જ્ઞાનને તેમણે લોકો સુધી
પહોંચાડ્યું.તેમના વિષે કેટલીય દંતકથાઓ સાંભળવા મળે છે, જેમ
કે એક કન્યાએ બ્રાહ્મણ પાસે જઈને એવું ચોઘડીયું
પૂછ્યું જેમાં ગર્ભાધાન કરવાથી જે બાળક અવતરે એ લોકોનાં જીવનને બદલી નાખનાર
કવિ બને, કે પછી તેઓ પૂર્વ
જન્મમાં એક ગાંધર્વ હતા જેણે મહાભારત યુધ્ધ જોયું હતું; કે
પછી મા સરસ્વતીએ દેવી માહાત્મ્યના કેટલાક શ્લોકો પૂરા કરી આપ્યા હતા; કે પછી બ્રાહ્મણોએ તેમની ઈર્ષ્યામાંને ઈર્ષ્યામાં તેમને ભાન
ભૂલાવી દે એટલો દારૂ પીવડાવ્યો પણ તેમ છતાં તેમણે જરા પણ ભાન ભૂલ્યા વગર રામાયણ
લખ્યું.
રામયણ ઉપરાંત એઝુતચને
મહાભારત અને દેવી માહાત્મ્ય પણ લખેલ છે. તેમનાં કથાનકની શૈલીમાં વારંવાર ગીતો ગાતો
પોપટ જોવા મળે છે, જેનો સંદર્ભ કદાચ
પુરાણોના રચયિતા ગણાતા વ્યાસ મુનિના પોપટ-મુખ પુત્ર શુકદેવ સાથે હશે. મલયાલમમાં આ
પહેલું જ રામાયણ નથી, જૂની શૈલીમાં લખાયેલ
અન્ય કેટલાંક સંસ્કરણો પણ છે અને એઝુતચનનાં રામાયણ બાદ પણ મલયાલમમાં રામાયણો
લખાયાં છે. જે રામાયણના ભવ્ય અને વૈવિધ્યસભર સાહિત્યિક વારસાની એક
વધારે સાહેદી કહી શકાય.
- ધ મિડ ડેમાં ૨૪ ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Ramayana when it Rains, નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૧ ઓક્ટોબર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો