કુદરતમાં દરેક પ્રકારનું માદા સ્વરૂપ અમૂલ્ય માનવામાં આવેલ છે
કેમકે માદા નવાં જીવનની જન્મદાતા છે. સૌથી શક્તિશાળી કે ચાલાક નર જ માદા સાથે
શારીરીક સંબંધ બાંધીને તેને સગર્ભા બનાવી શકે. માદા તેનાં જીવન પર્યંત એક જ નર
સાથે જોડી બનાવે કે પછી માત્ર સંવનન કાળમાં જ તેની સાથે રહે. પરંતુ, બીજા
નર સાથે લડાઈ કરતી વખતે કે શિકારીની નજરે ચડી જવાનો ભય રાખ્યા વગર કળા કરતી વખતે
કે મધુર ટહુકા કરતી વખતે પોતાનાં જાનનાં
જોખમની પરવા કર્યા વગર, નરે
તો તેનું ધ્યાન ખેંચવા માટે હંમેશાં સ્પર્ધામાં જ ઉતરવું પડતું હોય છે.
જૂદા જૂદા પ્રદેશોના
ભિન્ન ભિન્ન સમાજોમાં લગ્ન સંસ્થાનાં જૂદાં જૂદાં સ્વરૂપોમાં માણસ જાતના કુદરતના આ
નિયમને ઉલટાવી નાખવાના પ્રયત્નો જોવા મળે છે. જેમકે
હિંદુ પુરાણોમાં લગ્નના આટલા પ્રકાર વર્ણવવામાં આવ્યા છે :
૧. પ્રજાપતિ – વિવાહ,
જેમાં છોકરો કન્યાના પિતા પાસે કન્યાના હાથનું માગું કરે છે.
૨. બ્રહ્મ - વિવાહ, જેમાં
કન્યાના પિતા છોકરાના હાથનું માગું કરે છે અને લટકામાં દાયજો પણ આપે છે.
૩. દેવ - વિવાહ, જેમાં
દીકરીને પિતાને અપાયેલ કોઈ સેવાની કિંમત રૂપે પરણાવવામાં આવે છે.
૪. ઋષિ - વિવાહ, જેમાં
દીકરીને સંન્યાસી સાથે પરણાવવામાં આવે છે, સાથે
ભાર વહન કરવા માટે બળદ અને ભરણપોષણનાં સાધન તરીકે ગાય પણ આપવામાં આવે છે જેથી
કરીને ઋષિ તેમનાં ધ્યાનયજ્ઞો નિરાંતે કરી શકે.
૫. ગાંધર્વ - વિવાહ, એટલે
કે પુરુષના સ્ત્રીમાટેના પ્રેમને, સમાજની મંજૂરીની પરવા
કર્યા સિવાય જ, લગ્નનું સ્વરૂપ આપવું.
૬. અસુર - વિવાહ , જેમાં
કન્યા ખરીદી લેવામાં આવે છે.
૭. રાક્ષસ – વિવાહ,
જેમાં છોકરીને ભગાડી જવામાં આવે છે.
૮. પિશાચ – વિવાહ,
જેમાં છોકરી ઊંઘમાં હોય ત્યારે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે.
મહાભારતમાં, પોતે
જેને પ્રેમ કરે છે તેમને પરણવા મટે તે ભાવિ પત્નીઓની ઈચ્છા શાંતનુએ પૂરી કરવી પડે
છે. તેની પહેલી પત્ની ગંગાને તેણે પોતાના બધાં જ પુત્ર સંતાનોને મારી નાખવા સુધીની
રજા આપવી પડી હતી. ગંગાનાં સંતાનને બદલે પોતાનાં સંતાન અને વારસોને રાજગાદી મળે
એવી બીજી પત્ની સત્યવતીની શરત સ્વીકારવી પડી હતી. સત્યવતી તેમની પુત્રવધુઓને વળી
નવી જ રીતે મેળવે છે - તેના સાવકા પુત્ર દેવવ્રતને કહીને અંબા અને અંબાલિકાનું
અપહરણ કરાવડાવે છે. કુંતીએ પોતાના પતિને પોતે પસંદ કર્યા હતા, જ્યારે
માદ્રી ખરીદાયેલ હતાં. ગાંધારીના પિતા પાસે ગાંધારીના હાથનું માગું કરવામાં આવ્યું
હતું, પણ તેનો પતિ દૃષ્ટિવિહિન છે એ વાત તેનાથી
છૂપાવવામાં આવી હતી. કુંતીની પુત્રવધુ, દ્રૌપદી
તીરંદાજીની સ્પર્ધામાં વિજયચિહ્ન સ્વરૂપે મળી હતી, જે
પાંચ પુરુષોમાં વહેંચાઈ ગઈ. આમ મહાભારતમાં
એક પેઢીથી બીજી પેઢીમાં સ્ત્રીના દરજ્જામાં બહુ સ્પષ્ટ ફેર જોવા મળે છે.
મહાભારતમાં આપણને એમ પણ જાણવા મળે છે કે એવો પણ એક સમય હતો
જ્યારે સ્ત્રી કે પુરુષ મનફાવે તેની સાથે જઈ શકતાં. અપ્સરાઓ આવીને ઋષિઓને તપોભંગ
કરવા સારૂં કરીને તેમની સાથે દેહસંબંધ બાંધતી અને પછી તેને કારણે થયેલ સંતાનને
ઉછેરવા માટે એ ઋષિને જ સોંપીને જતી રહેતી. અર્જુન તેને સંતોષી નથી શકતો એ માટે
ઉર્વશીએ અર્જુનનાં જનનાંગો ખરી પડશે એવો શ્રાપ આપ્યો હતો. ભાગવતની એક કથામાં
રાજકુંવરી ઉષા કૃષ્ણના પૌત્રનું એટલે અપહરણ કરી જાય છે કે તે પોતાને મનમોહક લાગતો
હતો.
મહાભારતમાં
લગ્નપ્રથાનું મૂળ પણ જાણવા મળે છે. શ્વેતકેતુને તેમની માતા બીજા પુરુષની બાહોંમાં
કઢંગી હાલતમાં જોવા મળે છે, પણ તેના પિતા
ઉદ્દાલકને તેમાં કંઈ અજૂગતું નથી લાગતું. શ્વેતકેતુ દુવિધામાં પડે છે કે આવું જ
હોય તો તેને પોતાનો પિતા કોણ છે એ શી રીતે ખબર પડે. એટલે એ લગ્નનો એવો કાયદો ઘડે
છે જેમાં એક સ્ત્રીએ પોતાના પતિને જ વફાદાર રહેવું પડે. પરંતુ જો પતિ તેને
સંતાનસુખ આપી શકે તેમ ન હોય તો પતિ જ તેને બીજા પુરુષ પાસે જવાની માગણી મૂકે.
દરેક પુરુષને સ્ત્રીનો
સંગાથ મળી રહે એવી સમાજની ભાવનાને પરિણામે સ્ત્રીઓના મુક્તાચાર પર પાબંધીઓ લાગુ
કરવી પડે તેમ હતું. વધારે સારા કે વધારે ગમતા પુરુષ માટે કરીને સ્ત્રી પોતાના
પતિને છોડીને જતી ન રહે એ માટે કાયદાઓ પણ ઘડવા પડ્યા. પુરુષની અક્ષમતા કે
અધુરાશમાંથી જન્મતી ચિંતાને ખાળવા સ્ત્રીની પતિપારાયાણતાને એક ગુણ તરીકે પોરસવામાં
આવી. ઘરે બેઠેલ સ્ત્રીની વફાદારીને ફરજનું ઓઠું બનાવ્યા પછી પુરુષને કંઈ ડરવાપણું
ન રહ્યું. પત્ની પ્રત્યેની વફાદારી હવે કાયદાની નહીં પણ પુરુષની મરજીની મોહતાજ બની
ગઈ. જો પુરુષ વફાદાર હોય તો, હિંદુ પુરાણોમાં
એકપત્નીવ્રત પાળનાર એક માત્ર રામની જેમ, તે
પૂજનીય ગણાવા લાગ્યો.
અદ્ભૂત રામાયણમાં
ઉલ્લેખ છે કે સીતાએ સોમાથાળા દૈત્યનો વધ કરી નાખ્યો હતો. એટલે દશાનન રાવણનો વધ
તેમને માટે કોઈ મુશ્કેલ કામ નહોતું. પરંતુ રામને પૂજનીય દેવ તરીકે પ્રસ્થાપિત કરવા
માટે તેમણે પોતાની શક્તિઓને સંકોરી લીધી હશે. જોકે આજના - ટીવી પરના પણ -
કથાકારોને સીતાને શરમાળ, અને રામ ત્યાગ કરે
ત્યારે આંસુઓ વહેવડાવતાં, ચિતરવાનું વધારે ફાવે
છે. સીતાએ જંગલમાં પોતાના પુત્રોને શકુંતલા, હિડંબા
કે કુંતીની જેમ એકલા હાથે બહુ જ સારી રીતે ઊછેર્યા હતા એ હકીકતની આ કથાકારો નોંધ
લેવાનું જ ભૂલી જાય છે. એવું લાગે છે કે, પોતાની
મટકી પોતે ફોડી લેતી પ્રકૃતિજન્ય
ન્યાયાનુસાર વર્તતી માદાને બદલે આજના પુરુષને બિચારી, મદદ
માટેનો હાથ લાંબો કરતી, તેના આધાર પર અવલંબિત
નારી હજૂ વધારે અનુકૂળ લાગે છે.
§
‘ધ
સ્પિકીંગ ટ્રી’ માં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Female As Alphaનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૭ ફેબ્રુઆરી, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો