મહાત્મા ગાંધીને તેમના અહિંસક
વિરોધ - સત્યાગ્રહની પ્રેરણા ગીતામાંથી મળેલ. તો વળી જો લક્ષ્ય અને હેતુ સાચા હોય
તો હિંસા આચરવી પણ ખોટી નથી તેમ બાળ ગંગાધર ટિળકને ગીતામાં જણાતું. ખરેખર, ગીતામાંથી બોધ અહિંસાનો ફલિત થાય છે કે પછી હિંસાનો?
મને યાદ છે કે ગીતા પરના એક
લેખમાં વેન્ડી ડોનીગરનું કહેવું છે કે ગીતામાં તો આગળ પડતાં થઈને હિંસાને ઉચિત
ઠેરવાઈ છે. તે તો રોમિલા થાપરને પણ ટાંકીને કહે છે કે ભગવાન બુધ્ધે અર્જુનની
સમસ્યા સાથે કેમ જૂદી રીતે કામ લીધું હોત. આ લેખને કારણે પોતાનાં બાળકોને હિંદુ
ધર્મની અહિંસા વિષેની, અને તેમાંથી પરિણમતા શાકાહારની, શીખ વિષે ભણાવતાં રહેતાં હિંદુઓ કેટલા ઊંચાનીચા થઈ ગયા હશે તે
તો કલ્પી જ શકાય છે.
હિંદુ અને બૌધ્ધ ધર્મો
વચ્ચેનો તફાવત તો આંખે વળગે તેવો છે. બૌધ્ધ ધર્મના સ્થાપકે તો પોતાનાં પત્ની અને
પુત્ર તેમ જ રાજપાટ ત્યજી દઈને ઈચ્છા,
કામ કે હિંસાથી પર રહેતા
સાધુજીવનને અંગીકાર કરેલ. તેની સામે,
હિંદુ ધર્મમાં વ્યક્તિને
પોતાના વર્ણના નિયમો મુજબ પોતાની ફરજ અદા કરવા જાણાવાયું છે. ઈચ્છા, કામ કે હિંસા બાબતે તેના પોતાના વિચારો ગમે તે હોય, તેણે લગ્ન કરવાં જ પડે,
સંતતિ પેદા કરવી જ પડે અને
તેના પરંપરાગત વ્યવસાય દ્વારા કુટુંબનું ભરણ પોષણ કરવું જ પડે. જે ક્ષત્રિય
પરિવારમાં જન્મે તેણે યુધ્ધ કરવું જ પડે. જે કસાઈનાં પરિવારમાં જન્મે તેણે ખોરાક
માટે કરીને પશુઓની કતલ કરવી જ રહી. રામાયણ અને મહાભારતામાં યુધ્ધની નૈતિકતાની
લાંબી ચર્ચા કરવાની સાથે સાથે યુધ્ધ કરતાં કરતાં સામાજિક જવાબદારીઓને
અદા કરવાનાં જ ગુણગાન વધારે ગવાયાં છે.
આ આખા વિવાદનાં મૂળમાં જે
સવાલ એ છે કે હિંસા સારી છે કે ખરાબ?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે
આપણે કુદરત અને સંસ્કૃતિમાં હિંસાની ભૂમિકા પર ધ્યાન આપવું પડશે. કુદરતમાં તો
પ્રાણીઓ આસપાસનાં પરિબળોની સામે ટકી રહેવા હિંસા આચરે છે. વનસ્પત્યાહારીઓ ઝાડ પાન
ઉખેડીને કરડી ખાય છે તો માંસભક્ષીઓ પ્રાણીઓનો શિકાર કરે છે. હિંસાથી ખોરાકની
સાંકળમાં પ્રાણીઓનો પદાનુક્રમ નક્કી થાય છે,
તેમના પ્રભાવનો પ્રદેશ અંકિત
થાય છે કે પછી પોતાનાં સાથીને અલગ તારવવામાં આવે છે. સંસ્કૃતિ પણ પ્રસ્થાપિત તો
હિંસા વડે જ થાય છે. જંગલો બાળીને ખેતરો અને ગામો વસે છે. નહેરો માટે નદી કિનારાઓ
ખોદી કાઢવામાં આવે છે, ખનીજોની શોધમાં પહાડોને ખાણોમાં પરિવર્તિત
કરી નાખવામાં આવે છે. માણસ જાતના બોજા ખેંચવા માટે પ્રાણીઓની નથ વીંધી તેમને વેઠ
પર જોતરવામાં આવે છે. આમ કુદરત હોય કે સંસ્કૃતિ, હિંસા તો આ બન્નેનો અભિન્ન
હિસ્સો જ છે. હિંસા વડે પ્રાણીઓ પોતાના જીવન નિર્વાહ માટે ખોરાક મેળવે છે. માનવી
હિંસા વડે ધનદૌલત એકઠી કરે છે અને માલમિલ્કત પર પોતાની માલિકી પ્રસ્થાપિત કરે છે.
બૌધ્ધધર્મ સંન્યસ્ત તરફ ઢળે
છે. સાધુ ધન અને દૌલતનો ત્યાગ કરે છે. માટે તે હિંસાને પણ અમાન્ય ગણે છે. પરંતુ
સમાજ તો સાધુઓથી નથી બનતો. જે લોકોને માટે હિંસામાં ભાગ લેવો અનિવાર્ય છે તેનો
બચાવ કેમ કરવો? યુધ્ધને મોરચે હિંસા આચરતા સિપાહી કે
ગુન્હેગારને પકડવા હિંસા આચરતા પોલીસનો બચાવ કેમ કરીને કરવો? સામેની વ્યક્તિનું પચાવી પાડવા આપણે હિંસા આચરવાનું ટાળી શકીએ
પણ પોતાના બચાવ માટે કે ટકી રહેવા માટે હિંસા આચરવી પડે તો? હિંસાનો પ્રયોગ આપણી ઉપર થાય એ આપણને ન ગમે, પણ સભ્ય સમાજની રચનાની ભલી ભાવનાથી આચરાતી હિંસાને આપણે, મનેકમને પણ, સ્વીકૃતિ આપતાં જ હોઈએ છીએ.
દલાઈ લામા જેવાંઓએ ઘડેલ બૌધ્ધ
ધર્મના શાંતિ સંદેશને બર્મા કે શ્રી લંકાના લોખંડી એડીથી શાસન કરતા શાશકોના બૂટ
નીચે કચડાતા જોઈને પાશ્ચાત્ય માધ્યમો આજે ચકરાઈ ગયાં છે. અહીં મૂળ મુદ્દો ઇચ્છાઓને
અતિક્રમવા નહીં, પણ માનવ જીવનના અસ્તિત્વમાટે ધન અને
દૌલતનું એક અનિવાર્ય ઘટક બની રહેવાનો છે. જ્યાં સુધી આપણે ધન અને દૌલતની પાછળ
ગાંડાં છીએ ત્યાં સુધી હિંસાથી પનારો છૂટે તેમ નથી. અને આવા કારણોસર આચરાતી
હિંસાનાં પરિણામો આપણે જ ભોગવવાં રહ્યાં.ગીતામાં આ વાત જ સમજાવાઈ છે.
§
'મિડ
ડે' માં ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Violence and Gita નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૭ માર્ચ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો